ગુજરાત : આગામી સમયમાં હવે રાજ્યમાં નવરાત્રિ, દશેરા, દિવાળીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં ગરબાને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં હવે કોઈ પણ પ્રકારના ગરબાનું આયોજન કરી શકાશે નહીં. પરંતુ ગરબી, મૂર્તિની સ્થાપના અને પૂજા – આરતી કરી શકાશે. કોરોના હોવાના કારણે કોઈ પણ ફોટો, મૂર્તિ ચરણ સ્પર્શ, પ્રસાદ વિતરણ કરી શકાશે નહીં. આ માટે સ્થાનિક તંત્રની મંજૂરી આવશ્યક છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ હવે રાજ્ય સરકારે આજે આગામી તહેવારોને ધ્યાનમાં લઈને ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં નવરાત્રિ, દશેરા, દિવાળી, બેસતા વર્ષ, નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભને લઈનેરાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. એક કલાકના કાર્યક્રમમાં 200થી વધુ લોકો એકત્ર કરી શકાશે નહીં. જ્યારે દશેરા, લોકમેળા, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આ ગાઈડલાઈન અને નિર્ણયોનો અમલ આગામી 16મી ઓક્ટોબર 2020થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. જેથી આ વખતે ખેલૈયાઓનો નોરતાનાં ઓરતા અધૂરા રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર
- નવરાત્રી દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે.
- પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય.
- આ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે.
- 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં.
- આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.
- તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.
- રાજ્યભરમાં કન્ટેન્ટમેન્ટ ઝૉન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહના આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે.
- તદ્દનુસાર છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.
- સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવો પડશે.
- કોરોના મહામારીમાં થર્મલ સ્કેનર, સેનિટાઇઝર સાથે ઓકસી મીટરની સુવિધા તેમજ સ્ટેજ, માઇક, ખુરશીને સમયાંતરે સેનીટાઇઝ કરવાના રહેશે.
- હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે.
- સમારંભ દરમિયાન થૂકવા તેમજ પાન-મસાલા ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- રાજ્યના 65થી વધુ વયના નાગરિકો, 10 વર્ષથી નીચેની વયના બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ છે.
- જો આવા સમારંભો હોલ, હોટલ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ, જ્ઞાતિ સમાજોની લગ્નવાડી, ટાઉન હોલ કે અન્ય બંધ સ્થળે યોજવામાં આવે ત્યારે આવા સ્થળની કેપેસિટીના 50 ટકા કે વધુમાં વધુ 200 વ્યક્તિની મર્યાદામાં જ યોજી શકાશે.
- લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે.
- મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
- રાજ્યમાં આગામી સમયમાં આવનાર તહેવારોમાં દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ, ભાઈ બીજ શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.
- આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
- રાજ્યમાં મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેના પર પ્રતિબંધ રહેશે.
- આ સૂચનાઓના ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
- તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય તેનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.